નંદશંકર મહેતા (જન્મ : ૨૧ એપ્રિલ, ૧૮૩૫ – અવસાન : ૧૭ જુલાઇ, ૧૯૦૫) ગુજરાતી ભાષાના લેખક હતા. તેઓ તેમની નવલકથા કરણ ઘેલો માટે પ્રખ્યાત છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કહેવાય છે.
નંદશંકર મહેતાનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૮૩૫ના રોજ ગંગાલક્ષ્મી અને તુળજાશંકરને ત્યાં સુરત ખાતે થયો હતો. ૧૦ વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરુઆત કરી હતી. ૧૮૫૫ માં નંદગૌરી સાથે લગ્ન બાદ તેઓ એ જ શાળામાં સહાયક શિક્ષક તરીકે જોડાયા.
૧૮૫૮માં શાળામાં મુખ્યશિક્ષક તરીકે નિમાયા અને પછીથી સુરતમાં ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજમાં પ્રિન્સીપાલ પદે નિમાયા, જે પદ તેમણે ૧૮૬૭ સુધી સંભાળ્યું. તેમની કુશળતા જોઇને સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય સર થિયોડોર હોપ નામના અંગ્રેજે તેમને સનદી સેવામાં જોડાવા સમજાવ્યા અને તેઓ અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે જોડાયા. ૧૮૮૦માં તેઓ કચ્છના દિવાનપદે રહ્યા અને ૧૮૮૩માં ગોધરામાં સહાયક પોલિટિકલ એજન્ટ તરીકે તેમની નિમણૂક થઇ. ૧૮૭૭માં તેમને રાય બહાદુરનો ખિતાબ મળ્યો.
તેઓ સામાજીક અને ધાર્મિક સુધારાવાદી હતા. તેઓ ઘણી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ અને અન્ય સુધારાવાદી જેવા કે દુર્ગારામ મહેતા, દલપતરામ અને અન્ય બે સહકાર્યકરોએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી જે સામાજિક અને ધાર્મિક સુધારાઓ પર કામ કરતી હતી. તેઓ બુદ્ધિવર્ધક સભાના પણ સભ્ય હતા, જેની સ્થાપના મુંબઈમાં ૧૮૫૧માં થઇ હતી. ૧૮૯૦માં નિવૃત્તિ પછી તેમણે ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું હતું.
*સર્જન* : તેમણે ૧૮૬૩માં કરણ ઘેલો લખવાની શરુઆત કરી અને ૧૮૬૬માં પ્રકાશિત કરી. તેમણે આર.જી. ભંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકા અને અંગ્રેજી ત્રિકોણમિતિ પાઠ્યપુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. તેમણે અનેક સમાચારપત્રોમાં લેખો લખ્યા હતા. તેમનાં પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે. ૧૭ જુલાઇ, ૧૯૦૫ના રોજ સુરત ખાતે તેમનું અવસાન થયું હતું.
