શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ (જન્મ : ૧૫ જુલાઈ, ૧૯૬૨) ભારતીય રાજકારણી અને ગુજરાતના મુખ્યમંત્રી છે. તે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના સભ્ય છે. એમને પક્ષ તરફથી સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા.
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો. તેમણે એપ્રિલ ૧૯૮૨માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવેલ છે. તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે.
તેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૯-૨૦માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા. તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા. તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા.
ભૂપેન્દ્રભાઈએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની પાર્ટી વિધાનસભા બેઠકમાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો અને સરકારની રચના કરી. શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે ૧૨ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્યના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની આ નવી ભૂમિકા દરમિયાન શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાતની વિકાસયાત્રાને આગળ લઇ જવા માટે અને રાજ્યમાં સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.


