સર જેમ્સ ચેડવિક (જન્મ : ૨૦ ઑક્ટોબર, ૧૮૯૧ – અવસાન : ૨૪ જુલાઈ, ૧૯૭૪) ઈંગ્લીશ ભૌતિકશાસ્ત્રી હતા કે જેમણે મૂળભૂત કણ ન્યુટ્રૉનની શોધ માટે ૧૯૩૫ના વર્ષનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.
જેમ્સ ચૅડવિકનો જન્મ ૨૦ ઑક્ટોબર, ૧૮૯૧ના રોજ બોલિંગ્ટન, ઇંગ્લેન્ડમાં થયો હતો. તેમના પિતાનું નામ જ્હૉન જોસેફ ચૅડવિક હતું. જેમ્સ ચૅડવિકે શરૂઆતનો અભ્યાસ માન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાંથી સંપન્ન કર્યો અને ૧૯૧૧માં યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ ૧૯૧૧ થી ૧૯૧૩ દરમ્યાન અર્નેસ્ટ રૂથરફર્ડના માર્ગદર્શન હેઠળ ફિઝિકલ લૅબોરેટરી, માન્ચેસ્ટરમાં રહીને કિરણોત્સર્ગી તત્ત્વોના પરમાણુઓમાંથી બહાર આવતાં વિકિરણોની ઊર્જાના માપન અને તેમના ઉદ્ભવ અંગે સંશોધન કર્યું. ૧૯૧૩માં બર્લિનમાં પ્રો. ગાઈગરના હાથ નીચે રેડિયોસક્રિતા ઉપર તેમને કામ શરૂ કર્યું. બ્રિટિશ નાગરિક હોવાને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓ નડવા છતાં તેમણે મેક્સ પ્લાન્ક, નર્ન્સ્ટ, માઈટનર જેવા વૈજ્ઞાનિકો સાથે કામ ચાલું રાખ્યું અને મૂળ તત્ત્વોમાંથી બહાર આવતા બીટા-કણોની ઊર્જાનું મૂલ્યાંકન કર્યું. આ અભ્યાસ બીટા-કિરણ સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખાય છે.
૧૯૩૨માં તેમને રૉયલ સોસાયટીનું સભ્યપદ અને હ્યુજીન્સ ચન્દ્રક પ્રાપ્ત થયાં હતાં. ૧૯૪૫માં તેમને ઉમરાવપદ (નાઇટહૂડ) આપવામાં આવ્યું. ૧૯૪૮માં તેમને લિવરપૂલ છોડી કેમ્બ્રિજમાં ગોન્વિલે કૉલેજનું આચાર્યપદ સંભાળ્યું. જેમ્સ ચેડવિકે કરેલી ન્યુટ્રૉનની શોધ ઘણી અગત્યની સાબિત થઈ. તે વીજભારવિહીન કણ હોવાથી પરમાણુ કેન્દ્રના વિભેદન અને પરખ માટે ઘણો અસરકારક છે. ન્યૂટ્રૉનના ઉપયોગથી પરમાણુ વિખંડનની અને કેન્દ્રીય ભઠ્ઠીઓની શોધ થઈ.
૧૯૩૫ થી ૧૯૪૮નાં વર્ષોમાં તેઓ યુનિવર્સિટી ઑફ લિવરપૂલમાં પ્રાધ્યાપક રહ્યા, તે દરમિયાન પ્રતાડન માટે આલ્ફા કણોને બદલે સાયક્લોટ્રૉન જેવા કણ-પ્રવેગકો દ્વારા મળતા અત્યંત વેગવાળા વીજભારિત કણોનો ઉપયોગ કરી ઊંચા પરમાણુભાર ધરાવતાં તત્ત્વોનું વિખંડન તેમને શક્ય બનાવ્યું. ૧૯૪૩માં પરમાણુબૉમ્બ વિકસાવવા માટેના મૅનહટન પ્રૉજેક્ટમાં અમેરિકન ટુકડીના નેતા એનરિકો ફર્મી હતા, જ્યારે અમેરિકા ગયેલી બ્રિટિશ ટુકડીના નેતા જેમ્સ ચૅડવિક હતા. આ પ્રૉજેક્ટના ફળસ્વરૂપે ૧૯૪૫માં પરમાણુબૉમ્બ તૈયાર થયો જેના ઉપયોગથી જાપાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવી પડી અને વિશ્વયુદ્ધ સમાપ્ત થયું. ૨૪ જુલાઈ, ૧૯૭૪ના રોજ ઊંઘમાં જ જેમ્સ ચેડવિકનું અવસાન થયું હતું.
