મધુસૂદન હીરાલાલ પારેખ (જન્મ : ૧૪ જુલાઈ, ૧૯૨૩ અવસાન : ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩) (ઉપનામો: કીમિયાગર, પ્રિયદર્શી, વક્રદર્શી) ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક હતા. તેમના સર્જન માટે તેમને ૧૯૭૨માં કુમાર પારિતોષિક પ્રાપ્ત થયો હતો.
મધુસૂદન પારેખનો જન્મ ૧૪ જુલાઇ, ૧૯૨૩ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનું મૂળ વતન સુરત હતું. મધુસૂદન પારેખના પિતાનું નામ હીરાલાલ પારેખ અને માતાનું નામ જડાવબહેન હતું. મધુસૂદન પારેખ વર્ષ ૧૯૩૯માં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદથી મૅટ્રિક થયા. વર્ષ ૧૯૪૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ.નો અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૫૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.નો અભ્યાસ કર્યા બાદ વર્ષ ૧૯૫૮માં તેમણે ‘ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો' પર પીએચ.ડી. પૂર્ણ કર્યું.
મધુસૂદન પારેખે વર્ષ ૧૯૪૫થી ૧૯૫૫ સુધી ભારતી વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. વર્ષ ૧૯૫૫થી ૧૯૮૩ સુધી હ. કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી. વર્ષ ૧૯૮૩માં નિવૃત્ત થયા. વર્ષ ૧૯૬૧થી ‘બુદ્ધિપ્રકાશ'ના તંત્રી તરીકે સેવા આપી. વર્ષ ૧૯૭૪થી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી રહ્યા હતા.
મધુસૂદન પારેખનું સાહિત્ય સર્જન : 'ગુજરાત સમાચાર' ઉપરાંત 'ગુજરાત ટાઈમ્સ', 'શ્રી' વગેરેમાં પ્રગટ થયેલા એમના હાસ્યલેખોમાંથી પસંદ કરેલા લેખોના સંગ્રહો 'હું', શાણી અને શકરાભાઈ’, 'સૂડી સોપારી', 'રવિવારની સવાર', 'હું, રાધા અને રાયજી', 'આપણે બધા', 'વિનોદાયન', 'પેથાભાઈ પુરાણ' વગેરે પ્રકાશિત થયા છે. એમાંનો હાસ્યરસ મધુર અને પ્રસન્નકર છે.
શાળા-કૉલેજોમાં ભજવી શકાય એવાં એમનાં હાસ્યરસિક એકાંકીઓ 'નાટ્યકુસુમો' અને 'પ્રિયદર્શીનાં પ્રહસનો'માં સંગૃહીત છે. શૅક્સપિયરનાં નાટકો પરથી 'શૅક્સપિયરની નાટ્યકથાઓ' એમણે આપી છે. સંસ્કૃત નાટકોની રૂપાંતરિત ‘સંસ્કૃત સાહિત્યની નાટ્યકથાઓ' પણ નોંધપાત્ર છે.
‘આવિર્ભાવ', ‘દલપતરામ', ગુજરાત સાહિત્ય સભાની ‘કાર્યવાહી’, 'અંગ્રેજી સાહિત્યનું આચમન’વગેરે એમના વિવેચનગ્રંથો છે. આ ઉપરાંત એમના અનુવાદ તથા સંપાદનગ્રંથોમાં 'અમેરિકન સમાજ', 'હેન્રી જેમ્સની વાર્તાઓ', 'કનૈયાલાલ મા. મુનશી : સાહિત્ય જીવન અને પ્રતિભા', 'અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' (અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ, 'હિંદુસ્તાન મધ્યેનું એક ઝૂપડું' વગેરેનો સમાવેશ થાય છે. કિશોરો અને બાળકો માટે એમણે ‘શામળ ભટ્ટની વાર્તાઓ', 'વૈતાલપચીસી', 'સિંહાસનબત્રીસી'- ૧-૨, 'બુધિયાનાં પરાક્રમો', 'અડવાનાં પરાક્રમો', 'ખાટીમીઠી વાતો', 'મૂરખરાજ', 'ડાકુની દીકરી', 'બાર પૂતળીની વાતો' વગેરે પુસ્તકો આપ્યાં છે.
સન્માન : મધુસૂદન પારેખને રણજિતરામ સુવર્ણ ચંદ્રક, કુમાર ચંદ્રક, જ્યોતીન્દ્ર દવે પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમીનો ‘ગૌરવ પુરસ્કાર' વગેરે પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.
મધુસૂદન પારેખનું અવસાન ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.



