ઉમાશંકર જોશી (ઉપનામ : વાસુકિ, શ્રવણ) (જન્મ : ૨૧ જુલાઈ, ૧૯૧૧ અવસાન : ૧૯ ડિસેમ્બર, ૧૯૮૮) ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.
ઉમાશંકર જોશીનો જન્મ ૨૧ જુલાઈ, ૧૯૧૧ના રોજ ગુજરાતના બામણા ગામે થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી અને માતાનું નામ નવલબેન જોશી હતું. ૧૯૩૭માં ઉમાશંકર જોશીના લગ્ન જ્યોત્સ્નાબેન સાથે થયા હતા.
ઉમાશંકર જોશીનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કૉલેજ માંથી મેટ્રિક પાસ કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને ૧૯૩૮માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા હતાં.
ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન : મુખ્ય કૃતિ - નિશીથ. કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા. પદ્ય નાટકો- પ્રાચીના, મહાપ્રસ્થાન. એકાંકી- સાપના ભારા, હવેલી, શહીદ. વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો, ત્રણ અર્ધું બે. નિબંધ સંગ્રહ — ઉઘાડી બારી, ગોષ્ઠિ. સંશોધન – પુરાણોમાં ગુજરાત, 'અખો' એક અધ્યયન. વિવેચન - કવિની શ્રદ્ધા, અભિરુચિ. અનુવાદ શાકુંતલ, ઉત્તર રામચરિત. ચિંતન - ઇશાવાસ્યોપનિષદ. પ્રવાસ - યુરોપયાત્રા (અંગ્રેજી). સંપાદન - કલાન્ત કવિ. તંત્રી - 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪, બુદ્ધિપ્રકાશ.
પુરસ્કારો : જ્ઞાનપીઠ પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, ઉમા- સ્નેહરશ્મિ પારિતોષિક, સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ.
સભ્યપદ/હોદ્દાઓ : પ્રમુખ - ગુજરાતી સાહિત્ય પરિષદ. પ્રમુખ - સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી. કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી. રાજ્યસભાના સભ્ય. કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટી - શાંતિનિકેતન. પ્રમુખ - દિલ્હી સાહિત્ય અકાદમી.
